Please wait...
લીરબાઈ ગૌશાળા, વિંઝરાણા ખાતે વ્યસનમુક્તિ શપથ અભિયાન યોજાયું પોરબંદર, તા. 30-08-2026, રવિવાર: લાયન્સ ક્લબ પોરબંદર તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિંઝરાણા ગામની લીરબાઈ ગૌશાળા ખાતે વ્યસનમુક્તિ શપથ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવી યુવાનો તેમજ વડીલોને નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાથે દેશવ્યાપી 10 કરોડ વ્યસનમુક્તિ શપથ અભિયાન માટે સમજુતી કરાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં વિવિધ પ્રકારના વ્યસનથી યુવા પેઢી તેમજ વડીલો પણ ત્રસ્ત છે. નશાકારક પદાર્થો, કેફી પીણાં ઉપરાંત મોબાઈલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું અતિશય વળગણ પણ ચિંતાનો વિષય બની રહ્યું છે. સમાજે સમયસર સાવચેતી અને જાગૃતિ નહીં દાખવે તો આવનારા સમયમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી કોમલ દીદી તથા તેમની ટીમ દ્વારા નશા વિરોધી નાટ્ય-નૃતિકા રજૂ કરવામાં આવી હતી, જેના માધ્યમથી વ્યસનના દુષ્પરિણામો અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રહ્માકુમારી સુનિતા દીદી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા ગ્રામજનોને નશો નહીં કરવાની અને વ્યસનમુક્ત જીવન જીવવાની શપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ગુજરાત સ્ટેટના ચેરમેન શ્રી રામદેવ મોઢવાડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમણે વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે વ્યક્તિ, પરિવાર અને સમાજની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો હતો. સમાજ અગ્રણી શ્રી પોપટભાઈ ખૂંટીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી વ્યસનમુક્તિ અભિયાનને સહકાર આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન લાયન જીતેશ રાયઠઠ્ઠા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, મોસ્ટ સિનિયર ફિઝિશિયન લાયન ડો. સુરેશભાઈ ગાંધી સાહેબ, રઘુવંશી સમાજના અગ્રણી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન રાજેશભાઈ લાખાણી, લાયન જીતેશ રાયઠઠ્ઠા, શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, શ્રી પોપટભાઈ ખૂંટી, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી સુનિતા દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, શ્રી સામંતભાઈ ચૌહાણ, શ્રી જીતેશભાઈ સિદ્ધપુરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
| Benefited People | 350 |
| Raised Of Amount | 7000 |
| Donated Of Amount | 7000 |
Please wait...