Please wait...
કડિયા પ્લોટ પે સેન્ટર શાળા,પોરબંદરના વિદ્યાર્થીઓએ નશા મુક્ત જીવન જીવવાનો લીધો સંકલ્પ બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 11-08-2026, મંગળવાર: બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત કડિયા પ્લોટ પે સેન્ટર શાળા, પોરબંદર ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ નિરવ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા બ્રહ્માકુમારીઝ અને લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી કોમલ દીદીએ નશાની વધતી સમસ્યા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ખાસ કરીને યુવા વર્ગે વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહી તંદુરસ્ત અને સંસ્કારી સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. ભારતનું યુવા ધન દેશની અમૂલ્ય શક્તિ છે અને તેનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ તથા સમાજસેવા માટે થાય તે અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નશાની લત વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે તેના પરિવાર અને સામાજિક જીવન પર પણ નકારાત્મક અસર કરે છે. નશા મુક્ત સમાજના નિર્માણ માટે આધ્યાત્મિક અને સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ હેતુથી દેશવ્યાપી “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને નશાથી દૂર રહેવા તથા અન્ય લોકોને પણ નશા મુક્ત જીવન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. વિશેષમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા અને પોતાના પરિવારજનો, મિત્રો તથા સમાજના અન્ય લોકોને પણ તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બે મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. ધ્યાન દ્વારા મનની એકાગ્રતા, શાંતિ અને સકારાત્મક વિચારશક્તિ વિકસાવવાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન કિર્તીભાઇ થાનકી દ્વારા સુંદર કલાત્મક છ છત્રીઓ શાળાને ભેટમાં આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડન્ટ લાયન અશ્વિનભાઈ ઠાકર, શાળાના પ્રિન્સીપાલ નિરવ જોશી, બ્રહ્માકુમારી કોમલ દીદી, બ્રહ્માકુમાર યોગેશભાઈ,લાયન કિર્તીભાઇ થાનકી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવી તેમને નશા મુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો અને સ્વસ્થ, સશક્ત તથા સંસ્કારી સમાજના નિર્માણમાં યુવા પેઢીની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
| Benefited People | 250 |
| Raised Of Amount | 4500 |
| Donated Of Amount | 4500 |
Please wait...