Please wait...
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો પોરબંદર, તા. 08-09-2026: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ (DIET), પોરબંદર ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સર્વધર્મ પ્રાર્થના દ્વારા તમામ ધર્મોના મૂળભૂત મૂલ્યો—પ્રેમ, શાંતિ, એકતા, ભાઈચારો અને માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધતામાં એકતા અને સૌના સન્માનની ભાવના સાથે સમાજને સદાચાર તથા વ્યસનમુક્ત જીવન તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમના પ્રારંભે DIETના ડો. કે. આર. જોશી સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી કોમલ દીદીએ વિદ્યાર્થીઓને સંબોધતા સમાજમાં વધી રહેલા વિવિધ પ્રકારના વ્યસનો અને તેના કારણે વ્યક્તિ, પરિવાર તથા સમગ્ર સમાજ પર થતી ગંભીર આડઅસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ઉપસ્થિત બી.એડ. અને એમ.એડ.ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક તરીકે સમાજ અને નવી પેઢીના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવવાના હોવાથી તેમને વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યસન માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તેના પરિવારની શાંતિ, આર્થિક સ્થિતિ અને સામાજિક જીવનને પણ અસર કરે છે. યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે શિક્ષકો, વાલીઓ અને સમાજે સાથે મળીને સતત પ્રયાસો કરવા જરૂરી છે. ત્યારબાદ બ્રહ્માકુમારી કોમલ દીદી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવા અને સમાજમાં નશામુક્તિનો સંદેશ પહોંચાડવા માટે નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “આપ સૌ ભવિષ્યના શિક્ષકો છો. આવતીકાલના ભારતના ઘડવૈયાઓનું નિર્માણ આપના હાથમાં છે. તેથી વિદ્યાર્થીઓને શરૂઆતથી જ વ્યસનના દુષ્પરિણામો અંગે સમજ આપી તેમને નશાથી દૂર રાખવાની જવાબદારી શિક્ષકોની છે. આપ સૌ નશામુક્ત ભારતના આ અભિયાનને આગળ ધપાવી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનો. દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે નશામુક્ત સમાજનું નિર્માણ અત્યંત જરૂરી છે.” કાર્યક્રમના અંતે DIETના પ્રાચાર્ય ડો. (પ્રા.) આલ્તાફ રાઠોડ સાહેબ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, લાયન અર્જુન કોટેચા, DIETના પ્રાચાર્ય ડો. (પ્રા.) આલ્તાફ રાઠોડ સાહેબ, ડો. (પ્રા.) આર. બી. મહેતા સાહેબ, ડો. (પ્રા.) કે. આર. જોશી સાહેબ, ડો. (પ્રા.) ગાર્ગીબેન માંકડિયા, પ્રા. આર. જે. પંડ્યા, પ્રા. પ્રિયંકાબેન, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા સહિત સંસ્થાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં બી.એડ. અને એમ.એડ.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત સૌએ “નશામુક્ત વ્યક્તિ – નશામુક્ત પરિવાર – નશામુક્ત સમાજ – નશામુક્ત ભારત”ના સંકલ્પ સાથે સ્વસ્થ અને સંસ્કારી ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
| Benefited People | 650 |
| Raised Of Amount | 3000 |
| Donated Of Amount | 3000 |
Please wait...