Please wait...
10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન અંતર્ગત પોરબંદરમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો સાંદિપની સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે 260થી વધુ ઋષિકુમારોએ નશામુક્ત જીવનનો સંકલ્પ લીધો પોરબંદર, તા. 22-08-2026, શનિવાર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોરબંદર તથા લાયન્સ ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત સાંદિપની સંસ્કૃત મહાવિદ્યાલય, પોરબંદર ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો તથા નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે સાંદિપની સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બીપીનભાઈ દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારી બહેનો, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ, ગુરુજનો તથા વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીકાળના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આ જીવનનો અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમયગાળામાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સારા સંસ્કારો મળે તો તેઓ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ યુવા પેઢીમાં વધી રહેલી વ્યસનની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યસન માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તેના અભ્યાસ, પરિવારજીવન, જવાબદારીઓ અને સામાજિક જીવન પર પણ નકારાત્મક અસર કરે છે. યુવાનો વ્યસનથી દૂર રહી સકારાત્મક જીવનશૈલી અપનાવે તો તેઓ પોતાના પરિવાર તેમજ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ બ્રહ્માકુમારી કોમલ દીદી દ્વારા વિદ્યાર્થીઓને નશા તથા વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. 260થી વધુ ઋષિકુમારોએ વ્યસનમુક્ત જીવન જીવવા તથા નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ત્રણ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. ધ્યાન દ્વારા મનને શાંત, એકાગ્ર અને સકારાત્મક રાખવા તેમજ જીવનમાં સારા વિચારો અને સારા સંકલ્પોને સ્થાન આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વ્યસનથી થતી વ્યક્તિગત, પારિવારિક તથા સામાજિક અસરો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નશામુક્ત જીવનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, સાંદિપની સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બીપીનભાઈ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી કોમલ દીદી, બ્રહ્માકુમારી સુનિતા દીદી, બ્રહ્માકુમારી નિતા દીદી, જીતેશભાઈ સિદ્ધપુરા, અન્ય ગુરુજનો તથા 260થી વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો તથા “વ્યસનમુક્ત વ્યક્તિ – સ્વસ્થ પરિવાર – સશક્ત સમાજ”નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
| Benefited People | 260 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |
Please wait...