Please wait...
બીલડી સીમ શાળા-2, બખરલા ખાતે નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો Writing બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” યોજાયું પોરબંદર, તા. 11-08-2026, મંગળવાર: બ્રહ્માકુમારીઝ પોરબંદર અને લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત બીલડી સીમ શાળા-2, બખરલા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના પ્રિન્સીપાલ વિરમભાઈ ખરાના માર્ગદર્શન હેઠળ હર્ષાબેન રાઠોડ દ્વારા ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારીઝ સંસ્થા તથા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી લીના દીદીએ નશાના વધતા જતા દુષ્પ્રભાવ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં ખાસ કરીને યુવા પેઢી વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહે અને સ્વસ્થ, સંસ્કારી તથા નશા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તે અત્યંત જરૂરી છે. ભારતનું યુવા ધન દેશની સૌથી મોટી શક્તિ છે અને આ શક્તિ વ્યસનો પાછળ વેડફાઈ જવાને બદલે રાષ્ટ્રસેવા, શિક્ષણ, સંસ્કાર અને સમાજના વિકાસ માટે ઉપયોગી બને તે માટે નશા મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નશાની આદત માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજને પણ અસર કરે છે. વ્યસનના કારણે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે તેના સામાજિક અને પારિવારિક જીવન પર પણ વિપરીત અસર પડે છે. તેથી નશા મુક્તિ માટે સમાજના દરેક વર્ગે પોતાની જવાબદારી સમજીને આગળ આવવું જોઈએ. આ હેતુસર દેશભરમાં “10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન” દ્વારા લોકોને નશાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. લીના દીદીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદાહરણ આપતાં જંગલમાં લાગેલી આગની વાત કરી હતી. આગ ઓલવવા માટે એક નાની ચકલી પોતાની ચાંચમાં પાણી ભરીને સતત પ્રયત્ન કરતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આટલા નાના પ્રયત્નથી આટલી મોટી આગ કેવી રીતે બુઝાવી શકાશે, ત્યારે ચકલીએ ભાવપૂર્વક જવાબ આપ્યો કે જ્યારે આ આગનો ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ આગ ઓલવવામાં મદદ કરનારાઓમાં હશે, આગ લગાડનારાઓમાં કે મૂક પ્રેક્ષક બનીને જોનારાઓમાં નહીં. આ પ્રેરણાદાયી પ્રસંગ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે સમાજમાં પરિવર્તન લાવવા માટે દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ પણ મહત્વનો હોય છે. નશા મુક્ત સમાજના નિર્માણમાં આપણે સૌએ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ અને પોતે નશાથી દૂર રહેવાની સાથે પરિવારજનો, મિત્રો તથા સમાજના અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવા જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને નશા મુક્ત જીવન જીવવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને આસપાસના લોકોને પણ વ્યસનોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રતિજ્ઞા ગ્રહણ કરી નશા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પાંચ મિનિટનું ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. ધ્યાન દ્વારા મનને શાંત રાખવા, એકાગ્રતા વધારવા અને નકારાત્મક વિચારો તથા વ્યસન જેવી ખરાબ આદતોથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદરના સેકન્ડ વાઇસ પ્રેસિડન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, પાસ્ટ પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયા, પ્રિન્સીપાલ વિરમભાઈ ખરા, હર્ષાબેન રાઠોડ, બ્રહ્માકુમારી લીના દીદી, બ્રહ્માકુમારી મુક્તાબેન, જીતેશભાઈ સિદ્ધપુરા, અશ્વિનાબેન ધોળકિયા સહિત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નશાના નુકસાન અંગે જાગૃતિ લાવીને તેમને સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કરવાનો તેમજ નશા મુક્ત ભારતના નિર્માણમાં યુવા પેઢીની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
| Benefited People | 150 |
| Raised Of Amount | 11000 |
| Donated Of Amount | 11000 |
Please wait...